ગુજરાત: BZ કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું – હું પૈસા ચૂકવવા તૈયાર


- જામીન અરજીની આગળની સુનાવણી 27 જાન્યુઆરીએ
- સુનાવણીમાં તપાસનીશ અધિકારીને પણ હાજર રહેવા તાકીદ કરી
- આવી ખાતરીથી ગુનો કે ગુનાની ગંભીરતા જરાય ઘટતી નથી: કોર્ટ
ગુજરાતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારે હવે રૂપિયા ચૂકવવાની વાત કરી છે. જેમાં બીઝેડ ગ્રુપના કૌભાંડમાં નિર્દોષ પ્રજાજનોના 422 કરોડ રૂપિયા ચાઉં કરી જનાર મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની જામીન અરજીમાં એવો પેંતરો અજમાવ્યો હતો કે, તે લોકોના પૈસા આપવા તૈયાર છે. પરંતુ, તેને જામીન પર મુકત કરો.
ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોના પૈસા ચૂકવવા તૈયાર છે: આરોપીનો વકીલ
ઝાલાએ કરેલી જામીન અરજીમાં તેના વકીલે બચાવ કરતાં જણાવ્યું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોના પૈસા ચૂકવવા તૈયાર છે. પરંતુ, તેના ખાતા ફ્રીઝ કર્યા હોવાથી તે પૈસા ચૂકવી શકતો નથી. તેથી તેના ખાતા ખોલવા જોઈએ અને આ માટે તેને જામીન અપાવા જોઈએ.
આવી ખાતરીથી ગુનો કે ગુનાની ગંભીરતા જરાય ઘટતી નથી: કોર્ટ
ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા ઝાલાના પેંતરાને ફગાવતાં અદાલત સમક્ષ જણાવ્યું કે, આરોપીએ બહુ આયોજનપૂર્વક અને પદ્ધતિસરનું કૌભાંડ આચર્યું છે અને હવે લોકોને પૈસા પરત કરવાની વાત કરે છે. પરંતુ, આવી ખાતરીથી ગુનો કે ગુનાની ગંભીરતા જરાય ઘટતી નથી.
સુનાવણીમાં તપાસનીશ અધિકારીને પણ હાજર રહેવા તાકીદ કરી
રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે, લોકોની મહેનત-પરસેવાની કમાણી ચાઉં કરી જઈ તેઓને રાતા પાણીએ રોવડાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ગુનો અને તેની મોડેસ ઓપરેન્ડી જોતાં તેને કોઈપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. કોર્ટે કેસની વધુ સુનાવણી સોમવારે (27 જાન્યુઆરી) રાખી છે અને એ દિવસે તપાસનીશ અધિકારીને પણ હાજર રહેવા તાકીદ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિના હસ્તે વિશિષ્ટ અને પ્રશસનીય સેવા મેડલની જાહેરાત, જાણો કોની પસંદગી કરાઇ