

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી હતી. તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ વિનંતી કરી હતી. મહત્વનું છે કે, અમિતાભ બચ્ચને તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદિ કૈલાશ પૂજાના ફોટોને ટ્વિટર ઉપર મૂકી તેના વિશે પોસ્ટ અપલોડ કરી હતી જેના જવાબમાં પીએમ મોદીએ તેમને રણ ઉત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ટ્વિટ કર્યું હતું.
શું પોસ્ટ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોની મારી મુલાકાત ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી હતી. આગામી સપ્તાહોમાં રણ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને હું તમને કચ્છની મુલાકાત લેવા વિનંતી કરીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે.”
ગુજરાત ટુરિઝમની અનેક જાહેરાત અમિતાભ બચ્ચને કરી હતી
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર અમિતાભ બચ્ચનને રાજ્યના મહત્વના ક્ષેત્રે જાહેરાત કરવાની વિનંતી કરી હતી જેનો તેમણેસ્વીકાર કરીને અનેક સ્થળોએ લોકો મુલાકાત માટે આવે તે અંગે ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં અભિનય કર્યો હતો.